27/08/2026
પી.એસ.એ. ટેસ્ટ : પ્રોસ્ટેટ કેન્સરનાં વહેલાં નિદાન માટે આસાન રિપોર્ટ
આરોગ્ય
ટેક કેર - ડૉ. નેહલ વૈદ્ય
આવા લેખ નિયમિત વાંચવા માટે ચેનલ જોઈન કરો: https://whatsapp.com/channel/0029VaFQOZC2UPBPX8OGj91K
હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર, બર્ડમેન ઓફ ઈન્ડિયા તરીકે ઓળખાતા જાણીતા પક્ષીવિદ્ ડૉ. સલીમઅલી, ગુજરાતના અગ્રણી પ્રકૃતિવિદ્ લવકુમાર ખાચર અને હિન્દી સાહિત્યના લેખક અને વિવેચક દૂધનાથસિંહમાં શું સામ્ય છે એ તમે જાણો છો?
આ બધા જાણીતા લોકોનું મૃત્યુ પ્રોસ્ટેટનાં કેન્સરને કારણે થયું હતું.
*લ્યો, આ તો ખબર જ નહોતી. શું આ કેન્સર ખૂબ સામાન્ય છે?*
વિશ્વની વાત કરીએ, તો ફેફસાંના કેન્સર પછી તે પુરુષોમાં નંબર ટુ કિલર છે. એક વર્ષમાં લગભગ ૧૪થી ૧૫ લાખ પ્રોસ્ટેટ કેન્સરના નવા કેસો નોંધાય છે.
ભારતમાં આ કેન્સર ટોપનું પાંચમું કેન્સર છે. સમગ્ર ભારતમાં વર્ષે દહાડે લગભગ ૩૦થી ૪૦ હજાર નવા કેસ નોંધાય છે.
ગુજરાતમાં પુરુષોનું નંબર વન કિલર કેન્સર મોંઢા તેમજ ગળાનું કેન્સર છે. ફેફસાંનું કેન્સર પણ ખરું. પ્રોસ્ટેટના કેન્સરનો નંબર આઠથી ૧૦મો આવે છે.
વિકસિત દેશોમાં દર એક લાખ પુરુષે પ્રોસ્ટેટ કેન્સરના લગભગ ૬૦ કેસ જોવા મળે છે, જ્યારે ભારતમાં દર એક લાખ પુરુષે લગભગ પાંચથી ૧૦ કેસ જોવા મળે છે.
*આનો અર્થ એ કે, વિકસિત દેશો કરતાં આપણે ત્યાં આ કેન્સરનું પ્રમાણ લગભગ દસ ગણું ઓછું છે. આ તો આપણા માટે ખુશીના સમાચાર છે. સાચું ને?*
પ્રાથમિક રીતે ઉપરના આંકડા આપણને ખૂબ સારા લાગી શકે છે, પણ હકીકત કંઈક અલગ જ છે. વિકસિત દેશોમાં પ્રોસ્ટેટ કેન્સરનું પ્રમાણ વધુ દેખાતું હોવાના બે મુખ્ય કારણ છે: એક ત્યાં પુરુષો લાંબુ જીવે છે આમ, તેમનો જીવનકાળ લાંબો હોવાથી તેમને આ કેન્સર થવાની શક્યતા વધે છે. બીજું વિકસિત દેશોમાં આ કેન્સરને ટાણાસર પકડવા માટે એક ખાસ રિપોર્ટ કરવામાં આવે છે.
આમ, ત્યાં શરૂઆતના તબક્કામાં જ આવા કેસ પકડાઈ જાય છે, જ્યારે ભારતમાં આવા કેસ કેન્સરના પાછલા સ્ટેજ માં પકડાય છે. આમ ભારતમાં પ્રોસ્ટેટ કેન્સરના આંકડા ભલે સારા લાગે, પણ હકીકત કંઈક અલગ જ છે.
*ઓહો. અચ્છા ડૉક્ટર, શું આ કેન્સરનો કોઈ ઈલાજ નથી?*
ઈલાજ છે, પણ સ્ટેજ પ્રમાણે તેનું પરિણામ સરખું નથી હોતું.
જ્યારે કેન્સરની ગાંઠ નાનકડી હોય અને માત્ર પ્રોસ્ટેટ ગ્રંથિમાં જ હોય, ત્યારે તેને પહેલું સ્ટેજ કહેવાય છે. જો આ વખતે તે પકડાઈ જાય, તો ઓપરેશનથી તે મટી જાય છે.
જ્યારે ગાંઠ મોટી થાય, પણ ગ્રંથિની બહાર ન ફેલાય, ત્યારે બીજું સ્ટેજ કહેવાય છે. આ સ્ટેજમાં પણ સારવારથી અને ઓપરેશનથી કેન્સર મટી જાય છે.
જ્યારે કેન્સરની ગાંઠ ગ્રંથિની બહાર ફેલાવા લાગે, ત્યારે સ્ટેજ થ્રી કહેવાય છે. આ સ્ટેજ પર થઈને સઘન સારવાર કરાવવી પડે છે. મોટા ભાગના કેસમાં સર્જરી, રેડીએશન અને હોર્મોન્સ થેરાપીનો ઉપયોગ કરવો પડે છે. ત્રીજા સ્ટેજમાં પણ સારવારનું પરિણામ પ્રમાણમાં સારું મળે છે.
જ્યારે કેન્સર ગ્રંથિની બહાર ફેલાવા ઉપરાંત શરીરમાં બીજે પણ ફેલાઈ જાય, ત્યારે ચોથું સ્ટેજ કહેવાય છે. આ વખતે દર્દીને ઘણી બધી સારવાર લેવી પડે છે તેમ છતાં તેનું બચવું મુશ્કેલ બને છે.
*મતલબ કે બીજા બધાં કેન્સરની તેમ જો પ્રોસ્ટેટનું કેન્સર પણ વહેલું પકડી લેવામાં આવે, તો તેની સારવાર શક્ય બને છે. બરાબર ને?*
હા, તમે બરાબર સમજ્યા. પ્રોસ્ટેટ કેન્સરની એક વિશેષતા એ છે કે, તે ખૂબ ધીમું કેન્સર છે. બહુ ધીમે ધીમે આગળ વધે છે. આમ, તે શરૂઆતમાં જ પકડી લેવાય, તો તેની ખૂબ સારી રીતે સારવાર શક્ય બને છે.
*આ કેન્સરમાં થાય છે શું? ક્યારે તપાસ કરાવવી જોઈએ?*
પ્રોસ્ટેટ ગ્રંથિ માત્ર પુરુષોમાં હોય છે. પેશાબની કોથળીની નીચે જ તેની જગ્યા છે. આ ગ્રંથિની બરોબર વચમાંથી પેશાબની નળી પસાર થાય છે. જ્યારે પ્રોસ્ટેટ ગ્રંથિમાં સોજો આવે કે ગાંઠ થાય, ત્યારે સ્વાભાવિક રીતે જ પેશાબની નળી પર દબાણ આવે છે. આમ, પેશાબ ઉતરવામાં તકલીફથી આવા રોગની શરૂઆત થાય છે.
સૌ પ્રથમ તો પેશાબની ધાર પાતળી થઈ જાય છે પેશાબની નળી પર ગાંઠનું દબાણ વધતું જાય તેમ તેમ લક્ષણોમાં વધારો થતો જાય છે.
પેશાબની નળી સાંકડી થવાને કારણે પેશાબ ઉતારવામાં તકલીફ થાય છે અને પેશાબ પૂરેપૂરો ખાલી થતો નથી. આ ઉપરાંત વારે-વારે પેશાબ કરવા જવું પડે છે. ડાયાબિટીસની માફક રાતે પણ વારે-વારે ઊઠવું પડે છે.
ડાયાબિટીસમાં પેશાબ વધુ બનતો હોવાને કારણે વારે-વારે જવું પડે છે, જ્યારે પ્રોસ્ટેટના રોગમાં પેશાબ બરાબર ખાલી ન થવાનાં કારણો આ લક્ષણ આવે છે.
*પણ ડૉક્ટર, અમારા એક સગાને કોઈ જ તકલીફ નહોતી. તેમની ઉંમર ૫૫ વર્ષની છે. ડૉક્ટર પાસે રૂટિન તપાસમાં ગયા એટલે ડૉક્ટરે અમુક રૂટિન રિપોર્ટ કરાવ્યા. તેમાં એક પ્રોસ્ટેટનો રિપોર્ટ પણ હતો. એ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આગળ રિપોર્ટસ કર્યા, તો પ્રોસ્ટેટનાં કેન્સરનું નિદાન થયું બોલો! તો શું કોઈ પણ લક્ષણ વગર પણ પ્રોસ્ટેટ કેન્સર હોઈ શકે?*
તમે બિલકુલ સાચી વાત કરી. આપણે આગળ જોઈ ગયા તેમ પ્રોસ્ટેટનું કેન્સર ખૂબ ધીમી ગતિએ આગળ વધતું કેન્સર છે. આમ શરૂઆતના ઘણા સમય સુધી તે ધીમે ધીમે વધ્યા કરે છે. કોઈ જ લક્ષણ આપતું નથી.
_આપણા માટે આ જ સારો મોકો બને છે. જો આ જ વખતે લોહીના રિપોર્ટથી એ પકડાઈ જાય, તો તે મટાડી શકાય છે._
*શું માત્ર લોહીના રિપોર્ટથી પ્રોસ્ટેટના કેન્સરનું નિદાન થઈ શકે છે? એવો તે વળી કયો રિપોર્ટ છે?*
હા. માત્ર લોહીના રિપોર્ટથી જ પ્રોસ્ટેટના કેન્સરનું નિદાન થઈ શકે છે. હા, એ પછી નિદાનને પાકું કરવા અને સ્ટેજ નક્કી કરવા માટે બીજા રિપોર્ટસ પણ કરાવવા પડે છે.
આ અદ્ભુત રિપોર્ટનું નામ છે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજન ટેસ્ટ એટલે કે ટૂંકમાં પી.એસ.એ. ટેસ્ટ.
તમને જાણીને નવાઈ લાગશે કે, સૌ પ્રથમ ૧૯૬૬માં મિત્સુવો હારા નામના ફોરેન્સિક વિજ્ઞાનીએ વીર્યમાં એક ખાસ પ્રોટીનની શોધ કરી, જેને નામ આપ્યું ‘ગામા-સેમિનો પ્રોટીન’. તે વખતે બળાત્કાર સાબિત કરવાના ફોરેન્સિક ટેસ્ટ માટે આ પ્રોટીનની હાજરી જોવામાં આવતી હતી. કેમ કે તેનાથી વીર્યની હાજરી સાબિત થતી હતી.
આ પછી ૧૯૭૧માં ડૉ. ટી. મિંગ અને તેમની ટીમે રોઝવેલ ઈન્સ્ટિટ્યુટ ન્યૂયોર્ક ખાતે આ ખાસ પ્રોટીન પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી જુદું પાડ્યું અને એટલે તેમણે તેનું નવું નામ પડ્યું : પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજન. ૧૯૮૦માં આ જ ટીમે એવું સાબિત કર્યું કે, આ પ્રોટીનને લોહીમાં પણ તપાસી શકાય છે. એટલું જ નહીં, તેમણે એ પણ બતાવ્યું કે, જ્યારે દર્દીને પ્રોસ્ટેટનું કેન્સર હોય, ત્યારે લોહીમાં આ પ્રોટીનના પ્રમાણમાં નોંધપાત્ર ઉછાળો આવે છે.
૧૯૮૬માં યુએસ એફ ડી એ એ આ ટેસ્ટને પ્રોસ્ટેટ કેન્સર ઉથલો માર્યો છે કે નહીં એ તપાસવાના ટેસ્ટ તરીકે મંજૂરી આપી.
ડૉ. વિલિયમ કટાલોના અને તેમની ટીમે ૧૯૯૧માં સાબિત કર્યું કે, PSA ટેસ્ટ પ્રોસ્ટેટ કેન્સરની વહેલી તપાસ એટલે કે સ્ક્રીનિંગ ટેસ્ટ તરીકે એક વિશ્વાસનીય અને સરળ રક્ત પરીક્ષણ છે.
૧૯૯૪માં PSA ટેસ્ટને પ્રોસ્ટેટ કેન્સરનાં વહેલાં નિદાનના ટેસ્ટ તરીકે યુએસ એફ ડી એ એ મંજૂરી આપી.
તે ઘડી અને આજનો દિવસ. આ ટેસ્ટને કારણે દુનિયાભરમાં અને ખાસ તો વિકસિત દેશોમાં પ્રોસ્ટેટ કેન્સરનું વહેલું નિદાન શક્ય બન્યું અને લાખો લોકોના જીવ બચાવી શકાયા.
*તમે તો ગજબ ટેસ્ટની વાત કરી. હવે એ કહો કે, આ PSA ટેસ્ટ કોણે અને ક્યારે કરાવવો?*
૫૦ વર્ષની ઉંમરના કોઈ પણ પુરુષે આ ટેસ્ટ કરાવવો.
જેમના પરિવારમાં પિતા અથવા ભાઈને ૬૫ વર્ષની ઉંમર પહેલાં પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન થયું હોય તેવા પુરુષોએ ૪૫ વર્ષે આ ટેસ્ટ કરાવવો.
જો કુટુંબમાં એક કરતાં વધુ સગાને પ્રોસ્ટેટ કેન્સર થયું હોય, તો તેવા પુરુષોએ ૪૦ વર્ષે આ ટેસ્ટ કરાવવો.
આપણે આગળ વાત કરી એ પ્રમાણે જો પેશાબમાં તકલીફ થાય, તો ગમે તે ઉંમરે આ ટેસ્ટ કરાવવો.
*શું આ રિપોર્ટ એક જ વાર કરવો પડે છે?*
ના, આ રિપોર્ટ થયા બાદ સમયાંતરે પ્રથમ રિપોર્ટના આધારે બીજા રિપોર્ટ કરાવતા રહેવા પડે છે.
PSAનું રિઝલ્ટ અને તે મુજબ ફરીથી આ રિપોર્ટ ફરી કરાવવાનો ગાળો આ મુજબ છે.
૧. ૧થી ઓછું PSA ng/ml : દર એક કે બે વર્ષે
૨. ૧થી ૨.૫ PSA ng/ml : દર એક વર્ષે
૩. ૨.૫થી ૪.૦ PSA ng/ml : દર એક વર્ષે ટેસ્ટ, ઉપરાંત ડૉક્ટરની તપાસ
૪. ૪.૦ ng/mlથી વધુ : તરત યુરોલોજિસ્ટને બતાવવું.
*આ ટેસ્ટ ૪.૦થી વધુ મળે, તો શું કરવું પડે છે?*
આવા વખતે યુરોલોજિસ્ટ એટલે કે કિડની-પેશાબના સર્જન પાસે સલાહ લેવી પડે છે. તેઓ Free PSA, પ્રોસ્ટેટ એમઆરઆઈ અને બાયોપ્સી જેવા આગળના ટેસ્ટ કરાવી શકે છે. આવા ટેસ્ટ બાદ નિદાન પાકું થાય છે અને સ્ટેજ પ્રમાણે સારવાર કરવામાં આવે છે.
*શું માત્ર પ્રોસ્ટેટ કેન્સર હોય, ત્યારે જ PSAનું પ્રમાણ વધે છે? શું બીજી કોઈ પરિસ્થિતિમાં PSAનું પ્રમાણ ઊંચું મળી શકે છે?*
સરસ સવાલ. પ્રોસ્ટેટ ગ્રંથિમાં સોજો કે ચેપ થાય, તો પણ PSAનું પ્રમાણ ઊંચું મળે છે. તેવી જ રીતે ઘણીવાર પ્રોસ્ટેટની સાઈઝ ઉંમર વધતાં કેન્સર ન હોય, તો પણ વધે છે. મેડિકલ ભાષામાં તેને બિનાઈન પ્રોસ્ટેટિક હાઈપર ટ્રોફી કહેવાય છે. આવા વખતે પણ PSAનું પ્રમાણ વધે છે.
*આ PSA રિપોર્ટ કરાવતાં પહેલાં શું કાળજી લેવી જોઈએ?*
સામાન્ય લોહીના રિપોર્ટની માફક આ રિપોર્ટ થાય છે. જો કે, લોહી આપતાં પહેલાં આટલી કાળજી રાખવી જરૂરી છે : લોહી આપવાના ૪૮ કલાક પહેલાંથી ભારે કસરત ન કરવી, સાઈકલ ન ચલાવવી, તેવી જ રીતે સંબંધ ન બાંધવો.
*સરસ ડૉક્ટર, PSA ટેસ્ટ ક્યારે, કોણે અને કેવી રીતે કરાવવો એ સંપૂર્ણપણે સમજાઈ ગયું. હવે એ કહો કે, શું આ ટેસ્ટ જીવનભર માટે સમયાંતરે કરાવતા જ રહેવો પડે છે?*
જો કોઈ સક્રિય લક્ષણો દેખાતાં ન હોય, તો ૭૫ વર્ષની ઉંમર બાદ નિયમિત PSA રિપોર્ટ કરાવવાનું જરૂરી રહેતું નથી. અગર લક્ષણો આવે, તો રિપોર્ટ કરાવવા સલાહ અપાય છે.
ટેક કેર : PSA ટેસ્ટ ખૂબ અગત્યનો ટેસ્ટ છે. ભારતમાં તેનું ચલણ ઓછું છે. આ વિશે વધુને વધુ લોકોને જાણ થવી જરૂરી છે.
==> ૫૦ વર્ષથી ઉપરના દરેક પુરુષને આ ટેસ્ટની માહિતી આપો.
જીવ બચાવવાની ખુશી મળશે !
🩺🩺🩺