22/06/2026
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન - રાજકોટ (ઉમિયાધામ, જસવંતપુર)નાં ઉપક્રમે તા. 14 જૂન, 2026 ના રોજ રાજકોટ સ્થિત સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કાનની બહેરાશ તથા અન્ય કાન સંબંધિત સમસ્યાઓથી પીડિત આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ હાજરી આપી નિઃશુલ્ક આરોગ્યસેવાનો લાભ લીધો હતો. બહેરાશથી પીડિત જરૂરિયાતમંદ દર્દીઓને સંસ્થા દ્વારા વિનામૂલ્યે શ્રવણયંત્ર (Hearing Aids) પણ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. કેમ્પ દરમિયાન 'વાત્સલ્ય સ્પીચ એન્ડ હિયરિંગ સેન્ટર'નાં નિષ્ણાત ઓડિયોલોજિસ્ટની ટીમ દ્વારા નિઃશુલ્ક હિયરિંગ ચેક-અપ કરવામાં આવ્યા હતા, જ્યારે સ્ટર્લિંગ હોસ્પિટલના નિષ્ણાત ENT સર્જન ડૉ. શ્રેયા વઘાસીયા દ્વારા દર્દીઓની તપાસ કરી કાન સંબંધિત વિવિધ સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સંસ્થાના કર્મનિષ્ઠ કાર્યકરોના સહયોગ અને સેવાભાવથી આ કેમ્પનું સફળ આયોજન શક્ય બન્યું. સંસ્થાના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી ડેનિશભાઈ પટેલ, શ્રી પિયુષભાઈ પટેલ તથા સમગ્ર ટીમે જરૂરિયાતમંદ દર્દીઓ પ્રત્યેની પોતાની સામાજિક પ્રતિબદ્ધતા નિભાવીને આ સેવાયજ્ઞને સફળ બનાવ્યો હતો. આ સેવાકીય કાર્યથી બહેરાશથી પીડિત અનેક વડીલો અને દર્દીઓના આશીર્વાદ પ્રાપ્ત થયા, જે અમારા માટે સૌથી મોટી સિદ્ધિ છે.
“સેવા એ જ સાધના”નાં ભાવ સાથે સમાજના અંતિમ વ્યક્તિ સુધી આરોગ્યસેવા પહોંચાડવાનો પ્રયાસ 'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ સેન્ટર'ની ટીમને હંમેશા પ્રેરણા આપે છે.